વરસાદની ઋતુની શરૂઆત થતા જ તાવના કેસ સામે આવવા લાગે છે, જ્યારે શરીર નું તાપમાન સામાન્ય થી વધારે થઈ જાય તો તેને તાવ કહે છે. મનુષ્યોમાં શરીરનું સામાન્ય તાપમાન 37˚C અથવા 98.6˚ ફેરનહીટ હોય છે. જ્યારે શરીરનું તાપમાન આ સામાન્ય લેવલ કરતા વધારે હોય છે, ત્યારે તે સ્થિતિને તાવ કહે છે. તાવ એ કોઈ રોગ નથી. તે રોગનું માત્ર લક્ષણ છે. તે કોઇપણ પ્રકારના ચેપ સામે શરીરની પ્રતિક્રિયા છે. તાવ મોટાભાગે બેક્ટેરિયલ અને વાયરલ બંને ચેપથી વિકસે છે.
તાવના લક્ષણોની વાત કરીએ તો તે માત્ર શરીરમાં નબળાઈ લાવે છે, પરંતુ લાંબા સમય સુધી તાવને કારણે શરીરમાં નબળાઈની સાથે વજનમાં ઘટાડો થવી, માથાનો દુખાવો, બેચેની, મન ન લાગવું જેવા લક્ષણો દેખાય છે, જો આપણે તાવના કારણો જોઈએ તો બેક્ટેરિયા, વાયરલ, પ્રોટોઝોઅલ અને ફંગલ ચેપ હોઈ શકે છે.
તાવ દરમિયાન ડોક્ટર દ્વારા આ બાબતોનું ધ્યાન રાખવાનું કેહવામાં આવે છે જેમ કે ચોખ્ખું અને ઉકાળેલું પુષ્કળ પાણી પીવું, શરીરને પૂરતી કેલરી પૂરી પાડવા ગ્લુકોઝ, આરોગ્યપ્રદ પીણાં, ફળોના રસ, વગેરે લેવાની સલાહ આપવામાં આવે છે. ચોખાની રાબ, સાગોની રાબ, જવનું પાણી, વગેરે જેવો સરળતાથી પચે તેવો આહાર લેવો ઇચ્છનીય છે, દૂધ, દહીં, માખણ, રોટલી અને બ્રેડ, માંસ, ઇંડા તેમજ તેલમાં તૈયાર કરેલો આહાર ટાળવો જોઇએ. ચાલો જોઈએ તાવના આયુર્વેદિક ઘરેલું ઉપચાર વિષે.
ફૂદીનો અને આદુ : તાવ દરમિયાન ફુદીનો અને આદુનો ઉકાળો ખુબ ફાયદાકારક થાય છે. કોઈપણ જાતનો તાવ હોય તો ફૂદીનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે. સખત તાવમાં માથા પર ઠંડા પાણીના પોતા મૂકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી. ફૂદીનાના પાનાની કોફી પીવાથી પણ તવ મટે છે, માટે કોફી બનાવતી વખતે તેમાં તુલસી અને ફૂદીનાના પાન નાખી ઉકાળો, ત્યારબાદ થોડું ઠંડુ થયા પછી મધ નાખીને પીવાથી કોઈ પણ જાતનો તાવ મટે છે. આમ તાવ દરમિયાન ફુદીનો અને આદુનો ઉકાળો ખુબ લાભદાયી થાય છે.
તુલસી : તુલસીનો રસ 10 ગ્રામ, આદુનો રસ 5 ગ્રામ મેળવીને પીવાથી મેલેરિયાનો તાવ મટે છે. તુલસી અને સુરજમુખીનાં પાનને બરાબર વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે. તુલસીનાં પાન, અજમો અને સૂંઠનું ચૂર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ સાથે લેવાથી ફલૂનો તાવ મટે છે. પાંચ ગ્રામ તજ, ચાર ગ્રામ સૂંઠ, એક ગ્રામ લવિંગનું ચૂર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચૂર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલૂનો તાવ છે. 10 ગ્રામ જેટલા ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલૂનો તાવ મટે છે. શરદીને લીધે આવતાં તાવમાં તુલસીનાં પાનનો રસ મધ સાથે લેવાથી તાવ મટે છે.
વાયરલ તાવમાં તુલસી ખુબ જ અસરકારક સાબિત થાય છે, તુલસીમાં રહેલી તેની વિશિષ્ટ સુવાસ તેમાં રહેલા ઉડનશીલ તેલને આભારી છે. જે હવામાં પ્રસરી અને હવાનું શુદ્ધિકરણ કરવામાં મદદ કરે છે. આથી જ જયારે વાયરલ તાવ, મેલેરિયા-ડેન્ગ્યુ જેવા મચ્છરજનિત રોગનો ફેલાવ વધુ હોય તેવા વિસ્તારમાં અને તેવી સિઝનમાં ઘરમાં નાના-નાના કુંડામાં તુલસી રાખી એરપ્યુરિફાયરનું કામ થઇ શકે છે. સાંજે કુંડા બહાર મૂકી સવારનો કૂણો તડકો મળે તેમ બહાર રાખી ત્યારબાદ કૂંડા ઘરનાં વિવિધ ભાગમાં મૂકી શકાય છે.
અજમો : તાવની સમસ્યામાં અજમો ખુબ જ લાભદાયી છે, રાત્રે અજમાને પાણીમાં પલાળીને સવારે ગાળીને તેમાં થોડું મીઠું નાખીને પીવાથી મેલેરિયા તાવ મટે છે. અજમાને શેકીને તેનું ચૂર્ણ બનાવીને લેવાથી પણ તાવ ઉતરે છે. ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે. મેલેરિયાના તાવમાં વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા અને દ્રાક્ષ પાણીમાં પલાળી લો, ત્યારબાદ તેને ગાળી થોડી થોડી વારે પીવાથી ઉલટી મટે છે.
લસણ : લસણની કળી પાંચથી દસ ગ્રામ કાપીને તલના તેલ કે ઘીમાં સાંતળીને સિંધવ ભભરાવી ખાવાથી દરેક પ્રકારના તાવ મટે છે. એલચી ત્રણ દાણા તથા મરી ચાર દાણા રાતે પાણીમાં ભીંજવી રાખી સવારે તે બરાબર ચોળીને પાણી ગાળીને દિવસમાં 3-4 વાર પીવાથી જીર્ણ તાવ મટે છે. વરિયાળી અને ધાણાનો ઉકાળો કરી સાકર નાખી પીવાથી પિત્તનો તાવ મટે છે. આદું, લીંબુ અને તુલસીના રસ સાથે મધ ઉમેરીને ઉપયોગ કરવાથી ઉધરસ-શરદી કે તાવ તેમજ સમગ્ર શરીરમાં થતું કળતર મટે છે.
જીરું : જીરું વાટીને ચાર ગણા પાણીમાં રાત્રે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો તાજો રસ મધ સાથે મેળવીને દર બે કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે. તુલસી, કાળાં મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાખીને ગરમાગરમ પીવાથી મેલેરિયાનો તાવ મટે છે.
ગંઠોડા : એક ચમચી ગંઠોડાનું ચૂર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢિયો તાવ મટે છે. ફૂદીનાનો અને આદુનો રસ કે ઉકાળો પીવાથી રોજ આવતો તાવ મટે છે. ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢિયો તાવ મટે છે. મરીનું ચૂર્ણ તુલસીના રસ અને મધમાં પીવાથી ટાઢિયો તાવ મટે છે.
પાણીમાં તુલસીનાં પાન નાખી ઉકાળી લો, ત્યારબાદ ગાળી ઠંડુ થયેલું પાણી જ પીવડાવવાથી ડેન્ગ્યુ કે વાયરલ તાવમાં હાઈગ્રેડ ફિવરથી જલ્દી રિકવરી થાય છે. કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો અડધી ચમચી મીઠું ગરમ પાણિમાં દિવસમાં 3 વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ પા ચમચી મિંઠુ બે દિવસ લેવાથી તાવ પાછો આવતો નથી. આમ આ આયુર્વેદિક ઘરેલું ઉપચાર દ્વારા તમે તાવને મટાડી શકો છો, આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીમાં રાહત અપાવે.
નોંધ : આ આર્ટીકલમાં જણાવેલ માહિતી ફક્તને ફક્ત શેક્ષણિક હેતુ માટે આપવામાં આવી છે. આ આયુર્વેદ ટીપ્સ તથા નુસખા દરેકની તાસીર અનુસાર કામ કરતી હોય છે, માટે કોઈ પણ આયુર્વેદિક પ્રયોગ કરતા પહેલા તમારા ફેમીલી ડોક્ટર અથવા વૈધની સલાહ અવશ્ય લેવી જરૂરી છે.
જો તમે આવી જ માહિતી અને જાણકારી મેળવવા માંગતા હોય તો નીચેનું Like Button દબાવીને અમારા પેજને લાઈક કરો. જો આ માહિતી ઉપયોગી લાગે તો લોકો સાથે જરૂર share કરવા વિનતી.